પાટણ: ગુજરાતના પાટણ જિલ્લામાં એક ચોંકાવનારી અને દુઃખદ ઘટના સામે આવી છે, જેણે આખા વિસ્તારમાં ભારે ચકચાર મચાવ્યો છે. સિદ્ધપુર તાલુકાના બિલિયા ગામે ઓગડનાથ મંદિર નજીક એક યુવકનું દાઝી જતાં કમકમાટીભર્યું મોત નિપજ્યું છે. આ ઘટનામાં મૃતકની ઓળખ દેવેન્દ્રકુમાર જયંતીભાઈ પટેલ તરીકે થઈ છે, જે બિલિયા ગામનો રહેવાસી હતો.
મોબાઈલ બ્લાસ્ટ થયો હોવાનું લોકોનું કહેવું
આ મામલે સ્થાનિકોનું કહેવું છે કે, દેવેન્દ્રકુમાર એક્ટિવા પર જઈ રહ્યો હતો અને વીડિયો કોલમાં કોઈની સાથે વાત કરી રહ્યો હતો. આ દરમિયાન અચાનક તેના હાથમાં રહેલો મોબાઈલ ફોન બ્લાસ્ટ થયો હતો. ખાસ વાત એ છે કે, યુવકના એક્ટિવા પર પેટ્રોલ ભરેલો કેરબો પણ હતો. જેથી પેટ્રોલે આગ પકડી લીધી હતી અને દેવેન્દ્રકુમાર પટેલ આગની લપેટમાં આવી ગયો હતો. આગ એટલી ઝડપથી ફેલાઈ કે યુવકના હાથ, પગ અને આખું શરીર ગંભીર રીતે દાઝી ગયું હતું.
યુવકના ગંભીર રીતે દાઝી જતા મોત
આ ઘટનાની જાણ થતાં જ આજુબાજુના લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી, પરંતુ ત્યાં સુધીમાં દેવેન્દ્રકુમારની હાલત અત્યંત ગંભીર થઈ ચૂકી હતી અને તેનું મોત થઈ ચૂક્યું હતું. તો આ અંગે જાણ થતાં પોલીસની ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે યુવકના મૃતદેહને કબજે લઈને પોસ્ટમોર્ટમ માટે સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈને તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં મોબાઈલ બ્લાસ્ટ અને પેટ્રોલની આગને મોતનું કારણ માનવામાં આવી રહ્યું છે. પરંતુ પોલીસે આ મામલે હજુ સુધી મોતનું ચોક્કસ કારણ જણાવ્યું નથી. હાલ સાચી હકીકત જાણવા માટે પોલીસ ફોરેન્સિક ટીમની મદદ લઈ રહી છે. મોબાઈલ ફોનની બ્રાન્ડ, તેની બેટરીની સ્થિતિ વગેરેની નિષ્ણાતોની ટીમ તપાસ કરી રહી છે. આ ઉપરાંત પોલીસ દ્વારા લોકોના નિવેદનો પણ લેવામાં આવી રહ્યા છે.
0 Comments